ગોગા મહારાજ રબારી સમાજના દેવતા છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે. તેવું જ એક મંદિર શેભર ગામમાં આવેલું છે જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
શેભરીયા ગોગા બાપા
ગોગા બાપાના અસંખ્ય મંદિરો ગુજરાતમાં અને ભારતમાં આવેલા છે. રબારી સમાજ સિવાય પણ લોકો ગોગા બાપાના મંદિરે દર્શન કરવા જાય છે અને માનતાઓ પૂરી કરે છે. માન્યતા છે કે શેભર ગામમાં આવેલું ગોગા બાપાનું મંદિર છે ત્યાં જઇને પ્રાર્થના કરો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભક્તોનું ઘોડાપુર આ મંદિરમાં ઉમટી પડે છે અને દર્શન કરી પ્રાર્થના કરે છે.
કેટલીક વાતોથી અજાણ
આપણે સૌ જાણીએ છીએ કે ગોગા બાપાનો પ્રતાપ કેવો છે. તમારી પ્રાર્થના ફળે જ છે પરંતુ કેટલીક વાતોથી તો તમે પણ અજાણ હશો. મંદિરમાં જઇને પ્રાર્થના કરો એટલે તમારી ઇચ્છા મનોકામના પૂર્ણ થાય છે પરંતુ તેના ઇતિહાસ વિશે તમને ખબર છે?
શું છે મંદિરનો ઇતિહાસ
વર્ષો પહેલાની આ વાત છે જ્યારે શેભર ગામ શેભર નગરી તરીકે જાણીતું હતું. એક વખત એક વાણિયાને રાજાએ ચોરીના ગુનામાં વાંક વગર સજા આપી દીધી હતી. તડીપાર જતું રહેવાનું ફરમાન આપ્યું તો વણિક ખુબ દુઃખી થઇ ગયો અને વિલાપ કરતો કરતો ગામની બહાર જવા લાગ્યો ત્યારે કોઇ ભલા માણસે તેને સલાહ આપી કે શેભર ગામમાં એક દીકરી ગોગા બાપાની સેવા કરે છે. ભરવાડની દીકરી પાસે જઇને તું તારી વ્યથા કહે કદાચ તેનું સમાધાન નીકળી જાય.
વાણિયો શેભર ગામ આવી પહોંચ્યો અને ભરવાડની દીકરીને બધી વાત કરી તો તેણે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તું ચિંતા કર્યા વગર ઘરે પાછો જા તારો ગુનો માફ થઇ જશે. તે પરત આવ્યો તો ખરેખર ચમત્કાર હતો. ખરેખરો ગુનેગાર ઝડપાઇ ગયો હતો અને રાજાએ ખોટા નિર્ણયના બદલે મુનીમનો કારભાર વાણિયાને સોંપ્યો હતો.
વાણિયો આ ચમત્કારથી હતપ્રભ થઇ ગયો અને ગોગા મહારાજનું મંદિર ગામમાં બનાવડાવવાનું વિચાર્યું તેણે ભરવાડની દીકરીને કહ્યું કે મારે ગોગા બાપાને ગામ લઇ જવા છે પરંતુ ગોગા મહારાજે રજા ન આપી અને વાણિયાએ ગોગા બાપાની મૂર્તિ બનાવીને જ તેના નગરમાં સેવા પૂજા કરવા લાગ્યો હતો.
બાદમાં આ નગરીનો વિનાશ થયો રાજાઓના યુદ્ધ વચ્ચે નગર નાશ થઇ ગયું અને આ મૂર્તિ પણ ત્યાં જ રહી ગઇ હતી. એક વાર બે ભાઇઓ ગાડુ લઇને ત્યાંથી જતાં હતા અને આ પથ્થર મળતા તેમણે ગાડામાં મૂકી દીધો હતો. ત્યારે ગોગા બાપા એક ભાઇના શરીરમાં આવ્યાં અને કહ્યું આ કોઇ સામાન્ય પથ્થર નથી, હવે જ્યાં ગાડુ રોકો ત્યાં જ આ પથ્થરની સ્થાપના કરજો. તેઓ થાક ખાવા ઉભા રહ્યાં ત્યાં જ આ પથ્થરની સ્થાપના કરી દીધી માટે તે શેભરીયા ગોગા તરીકે ઓળખાય છે.