ભારત એ હિન્દુ દેવી દેવતાઓની આસ્થાનો દેશ છે. આપણે જ્યારે પણ કોઇ નવા કામની શરૂઆત કરીએ અથવા તો તકલીફમાં હોઇએ ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ. ડગલે ને પગલે ભગવાનને યાદ કરવાથી જીવનમાં સરળતા રહે છે.
છત્તીસગઢના કમરૌદ ગામમાં 400 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા છે. કહેવાય છે કે આ મૂર્તિની ઉંચાઇ સતત વધતી જ રહે છે. આ મૂર્તિ જમીનમાંથી બહાર નીકળી હતી માટે તેને ભૂફોડ બજરંગબલીના નામથી ઓળખવામાં આવે છે. અહીં ભક્તોની ભીડ જામે છે.
દરેકની મનોકામના થાય છે પૂર્ણ
આ મંદિરમાં કહેવાય છે કે જે પણ ભક્ત સાચા દિલથી પોતાની માગણી રજૂ કરે છે હનુમાનજી તેની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજી દરેકના દુઃખ દૂર કરે છે. આ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે દાન આવી રહ્યુ છે અને બાંધકામ થઇ રહ્યું છે.
400 વર્ષ જૂનુ મંદિર
મંદિર 400 વર્ષ જૂનુ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હજુ કોઇ પૂરતો પૂરાવો નથી મળ્યો કે આ મંદિર કેટલા વર્ષ જુનુ છે. લોકોની આસ્થા મંદિર પ્રત્યે વધતી જ જાય છે પરંતુ સરકાર પાસેથી કોઇ સહાય મળતી નથી.
મંદિર સમિતીના એક અધિકારીએ કહ્યું હતુ કે આ મંદિરમાં શિવરાત્રી પર મેળો ભરાય છે પરંતુ મહામારીના કારણે 2 વર્ષથી મેળો પણ ભરાયો નથી. કોરોનાએ ભયંકર રૂપ લીધુ ત્યારથી મંદિરમાં કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી. કોરોના નહોતો ત્યારે મંદિરમાં ખુબ ભીડ રહેતી હતી.

હનુમાન જયંતી પર પણ કોઇ પ્રકારના ભજનના કાર્યક્રમ યોજવામાં આવ્યા નહોતા. કોરોના ગાઇડલાઇન્સના પાલન સાથે મંદિરના નજીકના લોકોએ હનુમાન જયંતિની ઉજવણી કરી હતી. દર વર્ષે હનુમાન જયંતિ પર અન્નકુટનું આયોજન કરવામાં આવતુ હતુ પરંતુ મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે અન્નકૂટ પણ નહોતો ધરવામાં આવ્યો.