દેશમાં હનુમાનજીના 11 એવા મંદિર છે જે ખૂબ જ પ્રસિદ્ધ અને ચમત્કારી છે. જ્યાં દર્શન કરવા માત્રથી જ મનુષ્યની દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે. આ મંદિરો હિન્દુ સમાજની આસ્થા અને વિશ્વાસનું એ કેન્દ્ર છે જ્યાંથી કોઈ ખાલી હાથ નથી જતું. આવો જાણીએ 10 ચમત્કારી હનુમાન મંદિરો વિશે…
બડે હનુમાન (અલ્હાબાદ)
સંગમબાંધની નીચે ભગવાન હનુમાનનું મંદિર આવેલું છે. અહીં દેશના એક માત્ર સુતેલા હનુમાન આવેલા છે. વરસાદની ઋતુમાં ગંગાનું પાણી કિનારાથી આગળ વધીને મંદિર સુધી પહોંચી જાય છે પરંતું હનુમાનના ચરણોને સ્પર્શ કર્યા બાદ પુરનું પાણી આગળ નથી જતું.
હનુમાન ગઢી (અયોધ્યા)
હનુમાનગઢીનું મંદિર અયોધ્યામાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. સરયૂ નદીના તટ પર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા ફક્ત 6 ઈંચની છે. માતા અંજની અને બાળ હનુમાનની મૂર્તિના દર્શન થાય છે.
સાલાસર બાલાજી (રાજસ્થાન)
રાજસ્થાનના સાલાસરમાં હનુમાનજીનું આ મંદિર આવેલું છે. અહીં દાઢી અને મુછ સાથે શુશોભીત છે હનુમાનજીની પ્રતિમા. આ મંદિરમાં હનુમાનજીની આ મુર્તિ સ્વયંભૂ છે. માન્યતા છે કે એક ખેડૂતને જમીન ખેડતા વખતે આ મુર્તિ મળી હતી.
સંકટમોચન મંદિર (વારાણસી)
વારાણસીના સંકટમોચન મંદિરમાં સ્વયં તુલસીદાસજીએ હનુમાનજીની મુર્તિની સ્થાપના કરી છે. માન્યતા અનુસાર તુલસીદાસજીએ રામચરિત માનસના અમુક અંશ અહીં બેસીને લખ્યા હતા. ચૌત્ર મહિનાના શુક્લ પક્ષની પુનમે અહીં હનુમાનજયંતિ ધુમધામથી ઉજવાય છે. સાથે જ મેળો પણ લાગે છે.
ગિરિજાબાંધ હનુમાન મંદિર (રતનપુર)
બિલાસપુરના રતનપુરમાં ગિરિજાબાંધનું હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાં નારી રૂપમાં હનુમાનજીની મુર્તિ બિરાજમાન છે. માન્યતા છે કે હનુમાનજીની આ પ્રતિમાં 10 હજાર વર્ષ જુની છે.
મેહંદીપુર બાલાજી (રાજસ્થાન)
રાજસ્થાનના દોશા જિલ્લામાં આવેલું મેહંદીપુર બાલાજીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. હનુમાનજીનું મંદિર બે પહાડોની વચ્ચે આવેલું છે. અહીં હનુમાનજીના બાળ રૂપના દર્શન થાય છે. આ મૂર્તિ સ્વયંભૂ છે.
હનુમાન ધારા (સીતાપુર)
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં હનુમાન ધારા મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીના મસ્તિષ્ક પર આવેલા જળના બે કુંડમાંથી હંમેશા પાણી વહે છે. માન્યતા છે કે લંકા દહનબાદ રાજા રામના રાજ્યાભિષેક બાદ આ સ્થાન પર હનુમાનજીએ પોતાના શરીરના તાપને શાંત કર્યો હતો.
કષ્ટભંજન હનુમાન મંદિર (સારંગપુર)
ગુજરાતના સારંગપુરમાં હનુમાનજીનું કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે. અહીં કષ્ટભંજન રૂપમાં હનુમાનજીની મુર્તિ સ્થાપિત છે. માન્યતા છે કે સ્વામી ગોપાલાનંદે એક લોખંડના રોડથી મુર્તિને સ્પર્શ કરી હતી. સ્પર્ષ કરતાની સાથે જ મુર્તિમાં જીવ આવતા તે હલવા લાગી હતી. અહીં હનુમાનજીના પગની નીચે સ્ત્રી રૂપમાં શનિદેવના પણ દર્શન થાય છે.
પંચમુખી આંજનેયર હનુમાન (તમિલનાડુ)
તમિલનાડુના કુંભકોણમમાં પંચમુખી આંજનેયર હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં હનુમાનજીના પંચમુખી રૂપના દર્શન થાય છે. માન્યતા છે કે વનવાસ દરમિયાન શ્રીરામને શોધવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું હતું.
મહાવીર મંદિર (પટના)
બિહારની રાજધાની પટનામાં હનુમાનજીનું મહાવીર મંદિર આવેલું છે. મહાવીર મંદિર પ્રસિદ્ધ અને પવિત્ર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. માતા વૈષ્ણોદેવી બાદ આ મંદિરમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરે છે.
લગનિયા હનુમાનજી (અમદાવાદ)
અમદાવાદમાં ખુબ જ જાણીતું છે લગનિયા હનુમાનજીનું મંદિર. પ્રેમી યુગલો અહીં લગ્ન ગ્રંથીમાં જોડાય છે. હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે.